આ વિધિથી કરો અષ્ટલક્ષ્મી આરાધના, મનોકામના ઝડપથી પૂર્ણ થશે !

માતા લક્ષ્મી એટલે તો સુખ અને સમૃદ્ધિના અધિષ્ઠાત્રી. દરેક મનુષ્યની ઝંખના હોય છે કે દેવી લક્ષ્મીની કૃપા સદૈવ તેના અને તેના પરિવાર પર અકબંધ રહે. અને તેના ઘરમાં ક્યારેય નાણાંની ખોટ ન વર્તાય. એ જ કારણ છે કે ભક્તો સદૈવ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા જ રહે છે. ત્યારે અમારે આજે એક એવાં જ પ્રભાવશાળી ઉપાયની વાત કરવી છે.

દેવી લક્ષ્મી એ વાસ્તવમાં માત્ર ધન પ્રદાન કરનારા જ નહીં, પરંતુ, વિવિધ પ્રકારના આશિષ પ્રદાન કરનારા પણ છે. અને તેમના આ આશિષ અનુસાર આપણે તેમને ‘અષ્ટ’ નામથી બોલાવી છીએ. દેવીના આશિષ પ્રદાન કરતા આ અષ્ટ રૂપ એટલે જ ‘અષ્ટલક્ષ્મી’ સ્વરૂપ. આ અષ્ટલક્ષ્મીમાં આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વીરલક્ષ્મી, વિજયલક્ષ્મી તેમજ વિદ્યાલક્ષ્મીનો સમાવેશ થાય છે.

કહે છે કે આ અષ્ટલક્ષ્મીના આશિષની જેને પ્રાપ્તિ થઈ જાય છે, તેને જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડતો. માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવું એટલું સરળ ભલે ન હોય. પરંતુ, તે અશક્ય તો નથી જ. એક વિશેષ પૂજા-વિધાન અને મંત્રજાપ દ્વારા આપ અષ્ટલક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. અને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો. આવો, તે માટેની વિશેષ પૂજા અંગે માહિતી મેળવીએ.

ફળદાયી પૂજાવિધિ

⦁ શુક્રવારે નિત્યકર્મથી પરવારીને અષ્ટલક્ષ્મીના પૂજનનો સંકલ્પ લો. આમ તો આ પૂજા કોઈપણ વારે ફળદાયી જ બની રહે છે. પરંતુ, શુક્રવારના રોજ તે કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

⦁ એક બાજોઠ લઈ તેના પર ગુલાબી રંગનું વસ્ત્ર પાથરો.

⦁ તે બાજોઠ પર શ્રીયંત્ર તેમજ માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરની સ્થાપના કરો.

⦁ ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરી ગુલાબી રંગના આસન પર બેસો.

⦁ એક થાળીમાં ગાયના ઘીના આઠ દીપક પ્રજ્વલિત કરો.

⦁ દેવીની શાસ્ત્રોક્ત પૂજા બાદ તેમને કમળ પુષ્પની માળા અર્પણ કરો. તેમજ બરફીનો ભોગ લગાવો.

⦁ દેવીની સન્મુખ બેસીને જ નીચે જણાવેલ અષ્ટલક્ષ્મી મંત્રનો 108 વખત જાપ કરો. ઉલ્લેખનીય છે કે આ મંત્રનો જાપ કમળકાકડીની માળા દ્વારા કરવાથી તે વિશેષ લાભની પ્રાપ્તિ કરાવતો હોવાની માન્યતા છે. ફળદાયી મંત્ર “એં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મીયૈ હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમઃ સ્વાહા ।”

⦁ પૂજા પૂર્ણ થયા બાદ આઠ દિવડાઓને ઘરની આઠ દિશામાં સ્થાપિત કરી દો. તેમજ કમળકાકડીની માળાને તિજોરીમાં મૂકી દો.

માન્યતા અનુસાર આ વિધિ અનુસાર પૂજન-વિધિ કરવાથી ભક્ત પર અષ્ટલક્ષ્મીની કૃપા વરસે છે. જીવનમાં રહેલાં તમામ વિઘ્નો તો દૂર થાય જ છે. સાથે જ, વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની પણ પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)