ટીમ ઈન્ડિયાને ભારત લાવવા માટે એક સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસમાં લેન્ડ થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને લાવવા માટે ફ્લાઇટ મોકલી છે. એર ઈન્ડિયાનું બોઈંગ 777 બાર્બાડોસ એરપોર્ટ પર પહોંચી ગયું છે. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદથી ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ છે. ચક્રવાતી તોફાન બેરીલને કારણે અહીંનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
જેને લઈને સમગ્ર શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે.
પત્રકારોને પણ પરત લાવવામાં આવશે
આ સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસ પહોંચી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અહીંથી દિલ્હી પરત ફરશે. આ સાથે બીસીસીઆઈના વખાણ એક ખાસ કારણથી પણ થઈ રહ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે ટીમ ઈન્ડિયાની સાથે ત્યાં ફસાયેલા પત્રકારોને પણ પરત લાવવામાં આવશે.
મીડિયાના પણ ઘણા લોકો અટવાયેલા છે
ભારતીય મીડિયાના ઘણા લોકો કવરેજ માટે બાર્બાડોસ ગયા હતા. પરંતુ વાવાઝોડાને કારણે ત્યાં જ અટવાઇ ગયા છે તેમની ફ્લાઈટની ટિકિટ પણ કેન્સલ કરવામાં આવી છે.
વાવાઝોડાએ ગંભીર સ્વરૂપ લેતા એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
બાર્બાડોસમાં ચક્રવાતી તોફાન વિનાશક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ત્યાં ભારે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ કારણોસર એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર લગભગ 257 કિલોમીટરની ઝડપે આવી રહેલા વાવાઝોડાને લઈને પહેલાથી જ ચેતવણી જારી કરવામાં આવી હતી. આ કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસની એક હોટલમાં ફસાઈ ગઈ છે. .